અમારા પ્રતિનિધિ તરફથી
મુંબઈ, તા. 17 ફેબ્રુ.
ફિનલૅન્ડના ભારત ખાતેના રાજદૂત સુશ્રી રીત્વા કાઉક્કુ-રોન્ડેએ હીરાના અગ્રણી વેપારી અને ફિનલૅન્ડના મુંબઈ ખાતેના ભૂતપૂર્વ અૉનરરી કૉન્સ્યુલ જનરલ શ્રેયાંસ દોશીને `કમાન્ડર અૉફ ધ અૉર્ડર અૉફ લાયન અૉફ ફિનલૅન્ડ'નું પ્રમાણપત્ર અને ચંદ્રક અર્પણ કર્યાં હતાં. ફિનલૅન્ડના વિદેશ વ્યાપાર ખાતાના પ્રધાન વીલે સ્કીન્નારીની હાજરીમાં મુંબઈમાં ફિનલૅન્ડના કૉન્સ્યુલ જનરલની નવી કચેરીના શુભારંભ માટે યોજાયેલા કાર્યક્રમમાં શ્રેયાંસ દોશીને ચંદ્રક અને પ્રમાણપત્ર અર્પણ કરાયાં હતાં. ફિનલૅન્ડ સાથેના વેપારમાં 40 વર્ષથી વધુ સમય અને માનદ કૉન્સ્યુલ તરીકે 20 વર્ષ સુધી આપેલી સેવા બદલ આ બહુમાન આપવામાં આવ્યું હતું. ફિનલૅન્ડના છૂટક વેપારીઓને હીરાના દાગીના વેચવાની શરૂઆત કરનારાઓમાં શ્રેયાંસ દોશી અગ્રેસર હતા. તેઓ નિવૃત્તિના સમય સુધી ફિનલૅન્ડના કૉન્સ્યુલ જનરલ તરીકે કાર્યરત રહ્યા છે.